ફ્રેન્ચ વિજ્ઞાનકથા-લેખક "જૂલે વર્ન'નું નામ સાંભળતાં જ ભાવક એક જુદો જ રોમાંચ અનુભવતો થઈ જાય છે! એમણે માત્ર વિજ્ઞાન કથાઓ જ નહીં, પણ દિલધડક સાહસોથી ભરપૂર એવી સાહસ-કથાઓ અને પ્રચંડ ઝંઝાવાતોનો સામનો કરતી પ્રવાસકથાઓ પણ લખી છે. બ્રહ્માંડમાં તેમજ દરિયાઈ પેટાળમાં જળવાયેલાં રહસ્યોનો તાગ પામવા જૂલે વર્ને પોતાનાં પાત્રો પાસે જે પરાક્રમો અને સાહસો કરાવ્યાં છે એ એટલાં વિઝ્યુલાઈઝ થાય છે કે પુસ્તક વાંચ્યા પછી તમે એની રોમાંચકતાભરી અસરમાંથી બહાર નીકળી નહીં શકો. જૂલે વર્નની પ્રત્યેક કથાઓમાં વિસ્મય અને કુતૂહલની નવી નવી ક્ષિતિજો ખૂલતી જ રહે છે. આજ તો તેની કથાશૈલી અને લોકપ્રિયતાની સિદ્ધિ છે! જૂલે વર્ન માટે એવું કહેવાય છે કે ભવિષ્યમાં બનનારી કેટલીક વિચિત્ર ઘટનાઓનો એને અણસાર આવી જતો હતો. વિશ્વપ્રસિદ્ધ 'ટાઈટૅનકિ' દુર્ઘટનાના પચાસ વર્ષ પહેલાં તેમણે એવા જ એક વિશાળકાય જહાજની કરુણાંતિકા દર્શાવતી કથા આલેખી હતી. આવો યોગાનુયોગ તો એની મોટા ભાગની કથાઓમાં જોવા મળે છે. કદાચ એટલા માટે જ એમને વિજ્ઞાનસાહિત્યના ઋષિ તરીકે ઓળખવામાં આવે છે.