યુગદ્રષ્ટા સ્વામી વિવેકાનંદે આપણા રાષ્ટ્રજીવનના પ્રત્યેક પાસાનો સૂક્ષ્મ વિચાર કર્યો હતો. એ ઉમદા વિચારોને જીવનમાં ઉતારીને દરેક માનવ, હરેક ભારતવાસી સ્વકલ્યાણ, સમાજકલ્યાણ, રાષ્ટ્રકલ્યાણ અને વિશ્વકલ્યાણ કરીને પોતાને અને દેશને કેવી રીતે ઉજ્જ્વળ કીર્તિ અપાવી શકે, તે વાત આ પુસ્તકમાં સમાયેલ છે. સ્વામીજીની ઓજસ્પૂર્ણ વાણી નિષ્પ્રાણમાં પણ પ્રાણ ફૂંકીને એને ઊભા કરી દે તેવી, નિર્ભય બનાવી દેનારી અને ત્યાગ-સમર્પણની ભાવના દ્વારા સર્વકલ્યાણ સાધનારી બની રહે તેમ છે.
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : ‘દેહમાં કશી તાકાત વિનાના, હૃદયમાં કોઈ ઉત્સાહ વિનાના અને મગજમાં જરાય મૌલિકતા વિનાના આ જડ પદાર્થના લોચા જેવા માણસો શું કરી શકવાના છે ? તેમનામાં ઉત્સાહ પ્રગટાવીને મારે પ્રાણ પૂરવા છે - આ કાર્ય માટે મેં મારું જીવન અર્પણ કર્યું છે. વૈદિક મંત્રોની અમુક શક્તિથી હું તેમને જાગ્રત કરીશ. તેમની પાસે ‘ઉત્તિષ્ઠત જાગ્રત’ના અભય સંદેશની ઉદ્ઘોષણા કરવા મેં જન્મ લીધો છે.’
અમને આશા છે કે આવા વિચારોથી આકર્ષાઈને આજના યુવાનો અને રાષ્ટ્રોત્થાન ઝંખતા સર્વ ભારતવાસીઓ સ્વામી વિવેકાનંદનું સમગ્ર સાહિત્ય વાંચવા પ્રેરાશે.
અમને આશા છે કે આ પુસ્તક સૌ કોઈને માટે પ્રેરક નીવડશે.
સ્વામી વિવેકાનંદ