કેલિફોર્નિયાના પાસાડેના શહેરની શેક્સપિયર ક્લબમાં ૨૭ જાન્યુઆરી, ૧૯૦૦ના રોજ આપેલ સ્વામી વિવેકાનંદનું વ્યાખ્યાન ‘મારું જીવન અને કાર્ય’ નાની પુસ્તિકા રૂપે આ સંસ્કરણ પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. આ નાની પુસ્તિકામાં આધ્યાત્મિકતાની અનન્ય શક્તિ, ત્યાગ, અપરિગ્રહ, શ્રીરામકૃષ્ણદેવની મહિમા અને એમના ઉપદેશોની આધુનિક વિશ્વના સંદર્ભમાં પ્રાસંગિકતા તેમજ સર્વજન હિતાય, સર્વજન સુખાય જીવન જીવવાની ભાવના - શિવજ્ઞાને જીવસેવાના આદર્શની સંક્ષિપ્ત વાત આવે છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો : ‘ભારત આધ્યાત્મિક સંસ્કૃતિના પાયા પર ઊભું છે. એણેબળજબરીથી કોઈની ભૂમિ પચાવી પાડવાનું વિચાર્યું નથી.’ એટલે જ એ ભારત આજ સુધી અખંડ રૂપે ટકી રહ્યું છે. આજે સૌએ પોતપોતાના આચરણ દ્વારા હિંદુઓની આધ્યાત્મિકતા, બૌદ્ધોની કરુણા અને ખ્રિસ્તીઓની ક્રિયાશીલતા, મુસલમાનોના ભાઈચારાનો સુભગ સમન્વય કરીને એક વિશ્વધર્મનો આરંભ કરવો આવશ્યક છે. આ ભૂમિકા પર રહીને જો સમગ્ર વિશ્વ ચાલે તો સર્વત્ર સુખશાંતિ અને આનંદ પ્રસરી શકે. સમગ્ર વિશ્વનું ક્ષેમકલ્યાણ ઇચ્છનાર અને એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરનાર સર્વકોઈને આ પુસ્તક સંતર્પક નીવડશે એવી અમારી અભિલાષા છે. - પ્રકાશક