મહાન વ્યક્તિઓનો પરિચય ભાષણો, લેખો વ. સાહિત્યિક કૃતિઓ તથા જાહેર પ્રવૃત્તિઓ દ્વારા આપણે મેળવીએ છીએ. પરંતુ તેઓની સાથે નિકટનાં સંસ્પર્શ – સંપર્કમાં આવીને એ વિભૂતિઓનાં જીવન તથા વિચારોને નજીકથી નીરખવા - પારખવાનું સૌભાગ્ય વિરલ છે. વિરાટ આધ્યાત્મિક – વિભૂતિઓની ઝાંખી મેળવવાનાં કાર્ય માટે આ વાસ્તવિકતા એટલી જ સાચી છે. આધ્યાત્મિક મહત્તાનાં ઉચ્ચ શિખરોને આંબી જનાર વિભૂતિઓ આપણી જેમ સામાન્ય કક્ષાએ રહેનાર મનુષ્યો કરતાં અનેરી કક્ષામાં વિહરતા હોય છે; વિશ્વનું કલ્યાણ કરવા માટે તેમણે ભવ્ય પુરુષાર્થ ખેડ્યો હોવા છતાં અને માનવજગતને મૂંઝવતી ગંભીર સમસ્યાઓ પ્રત્યે તેઓ અત્યંત સહાનુભૂતિ- શીલ હોવા છતાંયે તેમનાં જીવન અને ઉપદેશોમાંથી સંપૂર્ણ લાભ લેવામાં તેમના સીધા સંસ્પર્શમાં આવેલ વ્યક્તિઓના અપવાદ સિવાય બીજા કોઈ સફળ થઈ શકતાં નથી. મહાન આધ્યાત્મિક ગુરુઓને દૂરથી પૂજાભાવનાની અંજલિ આપવા સાથે નજીકથી પિછાણવા એ બધા માટે અશક્ય છે. એટલે સામાન્ય લોકો માટે બીજા વિકલ્પની પસંદગીરૂપે તેમના ઉપદેશો જાણવા આવશ્યક છે ; કારણ કે તેમના ઉપદેશોમાં એ પ્રેરણાદાયી જીવનચરિત્રોની સુવાસ છુપાયેલી હોય છે એટલે જ સંતોનાં ઉપદેશ કે રોજનીશીમાં નોંધરૂપે જળવાયેલ વાર્તાલાપો, ઉક્તિઓ અને ઉદ્ગારોની ખૂબ ખૂબ માગણી થતી રહે છે. બાઈબલમાં સમાયેલ ઈશુ ખ્રિસ્તનાં થોડાં ઘણાં વચનો કે બુદ્ધદેવનાં થોડાંક શબ્દો-ઉચ્ચારણોની બક્ષીસ જગતને મહાન વિરાસતરૂપે મળ્યાં છે તથા હજારો વર્ષથી લાખો-કરોડો વ્યક્તિઓના જીવનમાં શાતા આપનાર સાબિત થયાં છે. આ બનવું સાવ સ્વભાવિક છે.