પ્રસ્તુત પુસ્તકમાં જુદા–જુદા વિષયો ઉપર મેં મારો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. હું સર્વાંશમાં સાચો જ છું એવો મારો કોઈ દાવો નથી. સામાન્ય મનુષ્ય હોવાના કારણે મારાથી અનેક ક્ષતિઓ થઈ જ હશે, તોપણ તે તે ક્ષતિઓ સાથે પણ મારે મારી વાત સ્પષ્ટ રીતે લોકો પાસે રાખવી જ જોઈએ. કદાચ કોઈને થોડીક પણ ઉપયોગી થાય. હું વાસ્તવવાદી છું. પરંપરાથી કે કોઈ વિશિષ્ટ મહાપુરુષથી ચાલી આવતી પ્રત્યેક વાતને આંખ મીંચીને સ્વીકારી લેવાની મારી વૃત્તિ નથી. તેમ અસ્વીકાર્ય વાતોને પણ લોકોની ચાહના મેળવવા માની લઈને લોલંલોલ કરવાની પણ મારી વૃત્તિ રહી નથી. એટલે મેં મને યોગ્ય લાગ્યું તે લખ્યું છે. અને લોકોને પણ મારો આગ્રહ છે કે તેઓ પણ આંખ મીંચીને મારી વાતને માની ન લે. પણ વિવેકપૂર્વક યોગ્ય લાગે તે જ માને. ધર્મ, અધ્યાત્મ અને જીવનવ્યવસ્થાને મેં માત્ર શાસ્ત્રના આધારે માપવાનો પ્રયત્ન નથી કર્યો, પણ કુદરતી પ્રક્રિયા, રાષ્ટ્રીય આવશ્યકતા, માનવતા અને વિજ્ઞાન : આ ચાર ફૂટપટ્ટીઓથી માપવાનો પ્રયત્ન કર્યો છે. મને સ્પષ્ટ જણાયું છે કે ધર્મ, અધ્યાત્મ અને જીવનવ્યવસ્થાને કુદરતી પ્રક્રિયાથી ઘણે દૂર કરી દેવામાં આવી છે. એથી પ્રજા દુ:ખી છે, કમજોર છે અને ગૂંચવાયેલી છે. તેને ફરીથી કુદરતી પ્રક્રિયાની નજીક લાવવી જરૂરી છે. કારણ કે કુદરત પોતે પણ એક મોટું શાસ્ત્ર છે.