સ્વામી વિવેકાનંદની ભવિષ્યવાણી હતી કે ‘વેદાંતના ભવ્ય વિચારોને સ્ત્રી-પ્રચારકો આમજનતામાં પ્રસરાવશે.’ મનુ વગેરે મનીષીઓની હરોળમાં રહીને સ્વામીજી પણ કહે છે કે ‘શું સમાજ કે શું વ્યક્તિ, શું રાષ્ટ્ર કે શું પરિવાર - જ્યાં જ્યાં શક્તિનું અપમાન થાય, ત્યાં ત્યાં અવનતિ, પછાતપણું, નિર્બળતા વગેરે જ જોવા મળશે. એથી ઊલટું સમગ્ર નારીજાતિમાં દિવ્ય જગન્માતૃત્વને યથાર્થ સન્માન આપવાથી મહત્તા, સમૃદ્ધિ, વિભૂતિથી દરેક ક્ષેત્ર સંપન્ન થશે.’
અમેરિકામાં ‘ભારતીય નારી’ વિશે આપેલ પ્રવચનમાં સ્વામી વિવેકાનંદે આખીયે પૃથ્વી પરની સ્ત્રીઓમાં દિવ્ય જગન્માતૃત્વના મહિમાની વિશદ સમજૂતિ આપીને કહ્યું કે ભારતીય પ્રાચીન મહાન સંસ્કૃતિનાં આધારભૂત મૂલ્યોમાં માતૃત્વનો આદર્શ ટોચનું સ્થાન ધરાવે છે. પોતાના મહાન ગુરુદેવ શ્રીરામકૃષ્ણ તથા તેમનાં લીલાસહધર્મિણી શ્રીમા શારદાદેવીનાં શ્રીચરણોમાં બેસીને સ્વામી વિવેકાનંદ આ મહાન બોધપાઠ શીખ્યા હતા.
સ્વામી વિવેકાનંદ